તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!

problem

આપણે સામાજિક, આર્થિક અને શારીરિક એમ ઘણી બાબતોથી પીડાતા હોઈએ છીએ. જેમ કે સંતાનોને કે પોતાને અભ્યાસમાં સફળતા મળશે કે નહીં તેની ચિંતા. લગ્ન ક્યારે નક્કી થશે તથા લગ્નસુખ કેવું મળશે તેની ચિંતા, નોકરી અને વેપાર-વ્યવસાયની મૂંઝવણો અને શારીરિક રોગ વગેરે. આ બધી સમસ્યાઓની એક જ દવા છે. તે છેે લાલ કિતાબના ઉપાયો. ઉપરોક્ત કોઈ પણ પ્રકારની સમસ્યા કે કષ્ટોમાં લાલ કિતાબના ઉપાયો કરશો તો જરૂર મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે

સૂર્યમંડળના નવ ગ્રહોને ભાગ્યવિધાતાના પાર્ષદ કહેવામાં આવે છે. ગ્રહો પણ આપણાં સંચિત કર્મો અને ભાગ્યને આધીન હોય છે. વિધાતાના આશીર્વાદથી જ્યારે જન્મ મળે ત્યારે દરેક મનુષ્ય પોતાની કિસ્મત સાથે લઈને આવે છે. મનુષ્ય બંધ મુઠ્ઠીમાં ઘણું બધું લઈને આવે છે. બંધ મુઠ્ઠી જેમ જેમ ખૂલે છે તેમ તેમ તેને સાચા જીવનની અનુભૂતિ થાય છે. એક સાહસી પુરુષ સંઘર્ષ કરી લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતો ત્યારે તે ભાગ્યને જ દોષ આપે છે.

આપણે કર્મો દ્વારા આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. ભાગ્ય પરિવર્તન માટે અને ખુશહાલ જીવન માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, પરંતુ લાલ કિતાબના ઉપાયો એ મનુષ્યને સંઘર્ષની સ્થિતિમાં ઉપયોગી થાય છે.

વેપાર-વ્યવસાય

વેપાર-વ્યવસાય કરીને વ્યક્તિ અખૂટ ધન કમાવવાની ઇચ્છા રાખે છે, ઉન્નતિ કરવા માગે છે, પરંતુ ક્યારેક વેપાર કે વ્યવસાયમાં ધાર્યો લાભ થતો નથી ઊલટાનું નુકસાન થાય છે. ક્યારેક સારી રીતે ચાલતો વેપાર-વ્યવસાય પણ ઠપ્પ થઈ જાય છે. વેપારની ઉન્નતિ માટે, અચાનક અટકેલા વ્યવસાયને પુનઃ શરૂ કરવા માટે તેમજ સફળતા માટે નીચે મુજબના ઉપાય કરવા જોઈએ.

  •   તબીબી ક્ષેત્રે જેનો વ્યવસાય છે, તેઓને વ્યવસાયની સમસ્યા છે, તો નીચે મુજબ ઉપાય કરવો.

સોમવારના દિવસે સવારે તાંબાના એક પાત્રમાં પાણી ભરવું. તે પાણી ભરેલા પાત્રને પોતાના ક્લિનિક કે ઓફિસમાં કોઈ પણ ખૂણામાં મૂકવું. ૪૩ દિવસ સુધી પાણીને સુકાવા દેવું નહીં, તેમાં પાણી ઉમેરતાં રહેવું. ૪૩ દિવસમાં આ પ્રયોગ દ્વારા વ્યવસાયમાં ઉન્નતિ થશે.

  •  ઇજનેર ક્ષેત્રમાં વારંવાર મુશ્કેલી આવતી હોય, કોઈ કાર્યો પૂર્ણ ન થતાં હોય તો નીચે મુજબ ઉપાય કરવા.

પોતાની ઓફિસના મુખ્ય દ્વારા પર સિંદૂરથી પાંચ ચાંલ્લા કરવા. લાલ સૂતરનો દોરો લઈ તેને સાત ગાંઠો વાળવી અને મંગળવારના દિવસે ધૂપ કરી આ દોરો મુખ્ય દ્વારે બાંધી દેવાથી નિશ્ચિત લાભ થશે.

  •  લાલ કિતાબ મુજબ મશીનરીના વ્યવસાયને ઉન્નત કરવા માટે ઘઉં અને ગોળનું દાન ગણેશજીના મંદિરે કરવું.
  •  પોતાનો જે વેપાર હોય તેની વૃદ્ધિ માટે ૪૦ દિવસ સુધી વહેતા પાણીમાં ગોળ પધરાવવો.
  •  વેપાર-વ્યવસાય સારો ચાલે અને સ્થિર રહે તે માટે પોતાના વ્યવસાયના સ્થાને પોતાનાં કુળદેવ કે દેવીની છબી કે પ્રતિમા પ્રસ્થાપિત કરવી. આ સિવાય પોતે જે ધન અર્િજત કર્યું છે તેનો ૧૦મો ભાગ વિકલાંગો તેમજ રક્ત સંબંધિત રોગીઓની સારવારમાં દાન કરવો.
નોકરી

વર્તમાન સમયની મુખ્ય સમસ્યામાંથી એક સમસ્યા નોકરી સંબંધિત છે. આપણે નોકરી કરતા હોઈએ છીએ, પણ આત્મસંતોષ થતો નથી. સંતોષ હોય તો યોગ્ય પદ કે બઢતી મળતી નથી તથા વળતર પ્રાપ્ત થતું નથી. આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નોકરી સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે નીચેની બાબતોને અનુસરો.

  •  અવારનવાર નોકરી બદલવાના યોગ બનતા હોય તો શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ, એક આખું શ્રીફળ, સો ગ્રામ જેટલું દૂધ લેવું. આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી. આમ, હનુમાનજીની કૃપાદૃષ્ટિ જરૂરથી પ્રાપ્ત થશે.
  •  જો તમે બેરોજગાર હો અને નોકરી પ્રાપ્ત કરવા માગતા હો તો ભાખરીનું ચૂરમું બનાવવું. તેના ત્રણ ભાગ કરવા. એક ભાગ ગાયને ખવડાવવો, બીજો ભાગ બાળકોને પ્રસાદમાં આપવો અને ત્રીજો ભાગ કીડીઓને આપવો. આ પ્રયોગ ૪ રવિવાર કરવાથી નોકરી પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે.
  •  પ્રવર્તમાન નોકરીમાં પ્રમોશન માટે વહેતા પાણીમાં નાળિયેરને વહેતું મૂકવું.
  •   નોકરી પ્રાપ્ત કરવા માટેના સરળ ઉપાયો.

– દરિયામાં સરસવનું તેલ પ્રવાહિત કરવું.

– કેસરનું તિલક કરી ઘરની બહાર નીકળવું.

– કાળી ગાયની સેવા કરવી.

– ભાગવતજીનું પારાયણ કરવું.

– ગુરુ કે બ્રાહ્મણના આશીર્વાદ લેવા.

– કોઈનું કારણ વગર અપમાન ન કરવું.

દાંપત્યજીવન

લગ્ન કરીને બે વ્યક્તિ એક બને છે. લગ્ન બાદ સુખી જીવનનાં સ્વપ્ન સેવે છે. સુખ-દુઃખની પળોમાં પતિ-પત્ની એકબીજાનો સાથ ઇચ્છે છે, પરંતુ ક્યારેક કોઈ કારણસર દાંપત્યજીવનમાં ખટરાગ પેદા થાય છે, મધુરતા વિસરાઈ જાય છે. પછી મતભેદ અને મનભેદ અલગ થઈ જવા સુધીનાં પગલાં ભરવાં મજબૂર કરી દે છે. જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું હોય અને દાંપત્યજીવનને બચાવવા કે મધુર બનાવવા માગતા હો તો નીચેના ઉપાયો અજમાવો.

  •  શુક્રનું નંગ ધારણ કરવું.
  •   પતિ અને પત્નીએ સવારે સાથે બેસીને કુળદેવીની આરાધના કરવી.
  •  સ્ત્રીઓએ ગંગાજળમાં કેસર મેળવીને જમણા હાથથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું.
  •  નાની બાળાઓને શુક્રવારના દિવસે ભોજન કરાવવું.
  •  ગળામાં સોનાની કોઈ પણ વસ્તુ ધારણ કરવી.
  •   પૂજાસ્થાનમાં મંગળ ગ્રહનું યંત્ર પ્રસ્થાપિત કરવું.
  •  કાળા કૂતરાને ભાખરી અથવા રોટલી દરરોજ ખવડાવવી.
  •  પોતાની સૂવાની જગ્યાએ કાચી માટીનો ઘડો ભરવો અને સવારે એ ઘડાનું પાણી પીપળે ચઢાવી દેવું.
  •  વદ ચોથના દિવસે ભગવાન ગણેશને લાડુનો ભોગ ધરાવવો.
  •  પતાસાં વહેતા પાણીમાં વહાવવાં.
  •   લગ્નની તારીખના દિવસે ઘરમાં વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરાવવા.

શીઘ્ર વિવાહના ઉપાયો

યોગ્ય સમયે લગ્ન થાય તો તે સામાન્ય બાબત છે, પણ યોગ્ય સમય થવા છતાં લગ્ન ન થાય તે મોટી સમસ્યા છે. લગ્નમાં વિલંબ, સગાઈભંગ યોગ વગેરે પ્રશ્નો આજે વધારે જોવા મળે છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં જે યુવક કે યુવતીના વિવાહ નક્કી ન થતા હોય તેમણે લાલ કિતાબના ઉપાયોનું શરણું લેવું જોઈએ.

  •  મંગળવારના દિવસે સાબુદાણા અને મસુરની દાળ શિવમંદિરમાં દાન કરવી.
  •   ખેરનાં લાકડાંના ૧૦૮ નાના ટુકડા કરવા. આ લાકડાં અને ગાયના ઘીની આહુતિ યજ્ઞામાં નીચેનો મંત્ર બોલતાં બોલતાં આપવાથી લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

મંત્રઃ હ્રીં મહા માયાયૈ નમઃ ।

  •   અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરવું.
  •  મંગળવારના દિવસે લાલ કપડું લેવું. કપડામાં ૧૧ સોપારી મૂકવી અને ‘ૐ  ગં ગણપતયે નમઃ ।’ મંત્રના જાપ કરવા. દરરોજ અગિયાર કે એકવીસ માળા જાપ કરવાથી લાભ થાય છે.
  •  પોતાના પૈતૃક ઘરમાં દરરોજ સવારે પાણિયારે ઘીનો દીવો કરવો.
  •  શનિવારના દિવસે એક પાત્ર લેવું. તેમાં તેલ ભરવું અને પોતાનું પ્રતિબિંબ જોવું. ત્યારબાદ તેલના પાત્ર સહિત હનુમાનજીના મંદિરે દાન કરવું.
  •   બીલી વૃક્ષનું મૂળ ‘ૐ  નમઃ શિવાય ।’ મંત્રની માળા કરી અભિમંત્રિત કરી ગળામાં ધારણ કરવું.
  •   ગરીબોને વસ્ત્ર તથા મીઠાઈનું દાન કરવું.
  •  મંગળવારના દિવસે સિદ્ધ કુંજનિકા સ્તોત્રનો પાઠ કરવો.
 

બીમારી પીછો ન છોડે ત્યારે આટલું કરો

જાતક ક્યારેક શારીરિક રીતે પીડાતો હોય છે. ક્યારેક માનસિક રીતે પીડાતો હોય છે. ક્યારેક અસાધ્ય રોગથી પીડિત હોય છે. જો શરીરસુખ સારું ન હોય તો અન્ય સુખનું મહત્ત્વ રહેતું નથી. શરીરસુખ મેળવવા માટે સ્વાસ્થ્યની ચિંતા દૂર કરવા માટે લાલ કિતાબમાં મહત્ત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

  •  અસાધ્ય રોગને નાથવા માટે

– શનિવારના દિવસે સાંજે ઘોડાને ચણા ખવડાવવા.

– જે રોગી હોય તેના માથેથી સાત વખત શ્રીફળ અને મધ ઉતારી વહેતા પાણીમાં પધરાવી દેવું.

– તુલસીનો છોડ રામજી મંદિરમાં દાન કરવો.

– પોતાનાં કર્મની ચોરી ક્યારેય ન કરવી.

– દરરોજ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો.

  •  માનસિક રોગ દૂર કરવા

– મોતીનું નંગ કુંવારી કન્યાને દાન કરવું.

– લાલ ગાયનું દૂધ સોમવારના દિવસે ચંદ્રદર્શન કર્યાં બાદ ભગવાન શિવને ચઢાવવું.

– કાળાં વસ્ત્રો ધારણ ન કરવાં.

– ચાંદીની વીંટી કે દોરો ધારણ કરવો.

– ૧૧ ગુલાબનાં પુષ્પો સ્વચ્છ પાણીમાં રાખવાં.

* રોગ પકડાતો કે ઠીક ન થતો હોય ત્યારે

– જો રિપોર્ટો નોર્મલ આવતા હોય અને મુશ્કેલીમાં ઘટાડો ન થતો હોય તો સફેદ આકડાની ૧૦૮ ફૂલની માળા બનાવવી અને હનુમાનજીને અર્પણ કરવી.

– સ્ફટિકના શિવલિંગની નિત્ય પૂજા કરવી અને શિવનું ભસ્મથી પૂજન કરવું.

– પોતાનો જમણો કાન વિંધાવવો, જો વિંધાવેલો હોય તો સોનાની વાળી ધારણ કરવી

 

વિદ્યાભ્યાસમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાયો

વિદ્યા વગર મનુષ્ય પશુ સમાન હોય છે. સાચા દેશકાળ પ્રમાણે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, પરંતુ વિદ્યાપ્રાપ્તિમાં અડચણ આવતી હોય કે અભ્યાસમાં મન ન લાગતું હોય ત્યારે લાલ કિતાબના ઉપાયોની મદદ લેવી જોઈએ.

 
  •  ચણાની દાળ ભગવાન શિવને ચઢાવવી.
  •  ગુરુવારના દિવસે સવારે તાંબાના કળશમાં રુદ્રાક્ષનો પાંચમુખી મણકો મૂકી ‘ક્લીં નમઃ’ મંત્રની પાંચ માળા કરવી. ત્યારબાદ તે કળશમાં દૂધ ભરવું અને પુનઃ ૫ માળા કરવી. ત્યારબાદ રુદ્રાક્ષનો મણકો ધારણ કરવો અને તે દૂધ પી જવું.
  •  યાદશક્તિ વધારવા માટે વિદ્યાદાન કરવું.
  •   વિધવાઓની સેવા કરવી.
  •   તાંબાનો જૂનો સિક્કો ગળામાં ધારણ કરવો.
  •   નિત્ય સવારે ૬:૩૦ રુદ્રાક્ષની માળાથી ‘ૐ  ઐ નમઃ ।’ મંત્રનો જાપ કરવો.
 

નાનાં બાળકો ભણવામાં નબળાં હોય ત્યારે આટલું અજમાવો

  •  જે નાનાં બાળકોની ભણવામાં રુચિ ન રહેતી હોય, તેનાં માતા અથવા પિતાએ દરરોજ સવારે ભગવાન નારાયણનું પૂજન કરી પૂજન કરેલું ચરણામૃત બાળકને પીવડાવવું.
  •  બાળકની માતાએ પોતાના બાળક માટે ગુરુવાર કરવા.
  •  બાળક વધુ નબળું હોય તો બાળકના પિતાએ પ્રદોષનું વ્રત કરવું.
  •  સત્ય બોલવું અને ધર્મનું આચરણ કરવું.
  •   પોપટને મરચું ખવડાવવું.
  •   અગિયારસનાં વ્રત કરવાં.
  • * અગિયારસના દિવસે તુલસીપત્ર ભગવાન શ્રીનાથજીને ચઢાવવાં.
  •   પોતાનાં માતા-પિતાનું નિત્ય પૂજન કરવું.

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ

રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!

Leave a comment